(ગતાંકથી આગળ)
‘કેમ તને શું વાંધો છે…?’આશ્ચર્યથી અમુલખે પુછ્યું
‘બઝાર કરવા તો મોટીબેન જ જાય છે, એ મારા પાસેથી પૈસા માંગે છે, એ મને અજુગતું લાગે છે’ કહતા યદુરામ નીચું જોઇ કહ્યું.
આ સાંભળી અમુલખને યદુરામ પ્રત્યે માન થયું તો સાકરને પણ યદુરામના શબ્દો હ્રદયને સ્પર્શી ગયા અને અહોભાવથી તેને જોઇ રહી.વર્ષોથી ઘર ભંગ થયેલા બંને જીવ એક બીજાના સાનિધ્યમાં સાંત્વના પામતા હતા.રેલ્વેના બે પાટા સમાન્તર ચાલતા હોય છે પણ ક્યાં મળતા નથી પણ બંનેને એક બીજાના આધાર વગર અધુરા છે એવી સત્ય હકિકત બંનેને સુપેરે સમજાઇ ગઇ હતી.પ્રેમને ભાષા હોતી નથી.પ્રેમનો અહેસાસ થતા સમય પણ લાગતો નથી .પ્રેમ એ પર્વતમાંથી નિકળતા ઝરણાં જેવો હોય છે.બસ કલ કલ વહેતા હોય છે,તેમાં પણ સાચા પ્રેમમાં પામવા કરતાં આપવાની ભાવના વધારે છલકાતી હોય છે.
મૌની ભાષા સમજવી એ કપરૂં કામ છે.બોલીને બકવાસ કરવા કર્તા ન બોલ્યા નવ ગુણ નહીં પણ નવ્વાણું ગુણ છે.ઘણી વખત અમુલખ ખુશ થઇ સાકરનો આભાર માનતો ત્યારે સાકર કહેતી એ કહેવાની જરૂર ખરી..? એ પોતાના આંખ અને વર્તન દ્વારા પ્રગટ કરતી એ અમુલખને ગમતું હતું.
કોઇ સાક્ષરે સાચી વાત કરી છે.માનવી એક એવું યંત્ર છે જેની ચાવી તો દરેક પાસે હોય છે. કિન્તુ એ ચાવી ફેરવી તેના આંટા સખત કરવાની કલા બીજાને વરી હોય તો માનવી જીવનમાં અનેક સારા કાર્ય કરી શકે છે.સાકર મધ જેવી મીઠી સાકર કરતાં ગળી એના આ ગુણથી અમુલખમાં આ કાર્ય ખૂબ સહજતા અને સફળતા પૂર્વક કરી શકતી.તેનું મુખ્ય કારણ એ દરેક કાર્ય કોઇ સ્વાર્થ વગર કરતી કારણ કેમ સ્વાર્થ એનાથી સો યોજન દૂર હતું.એ નિસ્વાર્થ પ્રેમમાં શારીરિક પ્રેમને સ્થાન ન હતું કે,એવી કોઇ તમન્ના પણ ન હતી. અમુલખને સમયના વહેણ સાથે આ વાત સુપેરે સમજાઇ ગઇ હતી.
એક જ છાપરા નીચે બે જીવ દોન ધ્રુવ ઉત્તર અને દક્ષિણની જેમ જીવી રહ્યા હતા.આધેડ ઉમર હતી પણ એક બીજાનો સહવાસ જ પૂરતો હતો.પરણીને એક જ બાળકની મા થયા પછી પતિ ગુમાવનાર સાકર હવે એ દિશામાં વિચાર પણ ન કરતી.એને મન ‘પુત્ર પ્રેમ’ જ સર્વસ્વ હતો જે એને દગો દઇ ગયો હતો છતાં મનમાં કોઇ કડવાશ રાખી નહી.
કેટલા લાંબા સમયથી સુસુપ્ત રહેલી ઝંખના આળસ મરડીને ઊભી ન થઇ શકી. અમુલખને આ નગ્ન સત્ય સુપેરે સમજાઇ ગયું હતું તેથી સ્વગત કહ્યું, મનવા જે મળે છે તેમાં જ આનંદ માણ.આ ઉમરે નિસ્વાર્થ ફિકર કરનાર પાત્ર નશીબદાર ને જ મળે.જો શારીરિક ભુખના રવાડે ચડીશ તો બરબાદ થઇ જઇશ.એટલે જળકમળવત્ રહેવું સારૂં.
સાકર જ્યારે અમુલખને ત્યાં કામે વળગી ત્યારે તેનો ઇરાદો માત્ર બે પૈસા રળી ખાવાનો હતો.સ્ત્રી વગરના પુરૂષને જીવનમાં અનુકૂળતા સાંપડે તો કઠણાઇ થોડી ઓછી લાગે.અમુલખનો પ્રેમાળ સ્વભાવ સૌ પ્રત્યે સમાનતા આના લીધે સાકર ઘરમાં સમાઇ ગઇ.આજે એજ સાકર ઘરના સભ્યની અદાથી જીવી રહી છે.અમુલખના જીવનને ચાહ અને રાહ મળી.અમુલખ છાને ખુણે સર્જન હારનો આભાર માનતો હતો કે,પોતે પેલા એકબોટેના સજેશનથી પોતાના પાસે સાકરનો ફોટો રાખ્યો હતો,એજ જો ન હોત તો…? એ વિચાર માત્રથી તેના શરીરમાં એક આછી કંપારી વ્યાપી જતી.
આજે જયારે અમુલખ બહારથી આવ્યો ત્યારે સાકર ઉદાસીન ચહેરે બેઠી હતી.હંમેશા આછું મલક્તી સાકરનું આ ઉદાસ ચહેરો જોઇ.અમુલખે કારણ પુછ્યું અને અનેક રીતે સવાલ કર્યા પછી એણે સત્ય હકિકત જણાવી.આજે સાકરનો દીકરો એના પાસે આવ્યો અને પૈસા માંગતો હતો. સાકરે ઘસીને ના પાડી દીધી હતી.સાકરના ચહેરા પર પલટાતા ભાવ જોઇ અમુલખને ચિંતા થઇ. આજે પહેલી વખત અમુલખ સાકરની બાજુમાં બેસી પીઠ પસવારી સાંત્વન આપ્યું એ સાકરને હ્રદયને સ્પર્શી ગયું..
સાકર જરા સ્વસ્થ થઇ તો અમુલખે એક સત્યવાતનો ઘટસ્ફોટ કર્યો.
‘સાકર હજુ તું તારા દીકરાને ચાહે છે.એમાં તારો વાંક નથી.એ તારા ઉદરે પોષાયેલું બાળ છે.જો તને એમ હોય કે,પૈસા આપવાથી તેની આપત્તી ટળશે તો મને જરા પણ વાંધો નથી..’
સાકર એકી ટશે અમુલખને નિરખી રહી.એને માનવીના સ્વરૂપમાં ઇશ્વર જણાયો.સાકર જવાબ આપવાનું પણ ભૂલી ગઇ
Filed under: નવલકથા |
Leave a Reply