(ગતાંકથી આગળ)
મનસુખ એની મમ્મી કનકતારાની આંગળી પકડી ઘર નજીકના મુરલી મનોહરના મંદિરે આવતો અને દર્શન કર્યા પછી કનકતારા તેને પૈસા આપતી તે ગુલકમાં નાખતા ખુશ થતો આ નિયમ અખંડ હતો.વખત જતા મનસુખ સ્કૂલ જતો ત્યારે લીલાધરે આપેલા પૈસામાંથી પાંચ પૈસા કે દશ પૈસા ગજવામાં હાથ નાખતા જે સિક્કો હાથમાં આવે તે ગુલકમાં નાખી સ્કૂલ જતો,આગળ જતા જ્યારે તેણે સ્ટોર સંભાળ્યો ત્યારે પૈસાની પાકિટ ખોલતા પાંચની,દસની કે,વીસની રૂપિયાની નોટ જે હાથમાં આવેતે ગુલકમાં નાખતો. એક દિવસ સ્ટોર પર જતા દર્શન કરી પાકિટ ખોલી તો એમાં પાંચસો રૂપિયાની એક જ નોટ હતી.એક મીનિટ માટે નોટ સામે પછી ગુલક અને મુરલી મનોહરની મૂર્તિ સામે જોઇ કહ્યું
‘તું પણ તારા ભક્તોની આવી પરિક્ષા લે છે…? આ પાંચસોની નોટ મારા માટે આજે પાંચ લાખ જેવી છે પણ નિયમ નહી તોડું’ કહી મૂર્તિ સામે મલકી એ પાંચસોની નોટ ગુલકમાં પધરાવી દર્શન કરી પાછો વળતો હતો તો એના મોબાઇલની ઘંટી વાગી.
‘હલ્લો….’
‘…………’
મનસુખને ફોનમાં થયેલ વાત મુજબ મંદિરમાંથી બહાર આવી આંગણામાંના પિપળાના ઝાડ તરફ આગળ વધ્યો ત્યાં એક બોસ્કીનો જભ્ભો,સફેદ ધોતિયું અને ભરતવાળી ટોપી અને સોનેરી ચશ્મા પહેરીને બેઠેલી વ્યક્તિને જોઇ,મનસુખે હાથ જોડી અભિવાદન કરતા કહ્યું
‘માફ કરજો હું આપને ઓળખતો નથી’
‘ક્યાંથી ઓળખે દીકરા તું નાનો હતો ત્યારે મેં લીલાધર પાસેથી એક મિત્રના નાતે પાંચ લાખ લ્ઇ હું લંડન ગયેલો લીલાધરના દુઃખદ અવસાનના સમાચાર જાણી હું તેના પાસેથી લીધેલા પૈસા પાછા આપવા આવ્યો છું.’
‘પપ્પાના મિત્રો બધાને હું ઓળખુ છું પણ આપનું નામ કદી….?
‘મારું નામ કે.વી.યાદવ છે,સાંભળ્યું કે,તારું મકાન બેંક પાસેથી લોન લેવા ગિરવી મૂકયું છે ચાલ પહેલાં એ મકાન છોડાવી લઇએ’કહી એ આગળ ચાલ્યા તો મનસુખ પાછળ ચાલ્યો. બેન્કમાં જઇ મેનેજરને મળીને લોનના બાકી પૈસા આપી બેંક પાસેથી મકાનના દસ્તાવેજ લઇને મનસુખને આપ્યા અને સાથે એક લાલ મખમલની થેલી આપતા કહ્યું
‘આ માનસીના દાગિના છે સોની પાસે એમજ પડ્યા હતા તે છોડાવી લીધા અને હા આ લે પાંચ લાખ રૂપિયા જે મેં લીલાધર પાસેથી લીધેલા’કહી એક પાઉચ,દાગિનાની લાલ મખમલની કોથળી અને મકાનના દસ્તાવેજ આપ્યા
‘વડીલ ચાલો ઘેર જઇએ’ મનસુખે કહ્યું
‘ના મારે તરત લંડન પહોંચવાનું છું એટલે હવે જાઉં’કહી એક સફેદ ગાડીમાં બેસીને એ ગયા.
મનસુખ ઘેર આવ્યો ત્યારે ભવાનજી ચ્હા પી રહ્યો હતો એ પુરી કરી પુછ્યું
‘ક્યાં હતો તું મનિયા હજી સ્ટોર નથી ખોલ્યો…?’
‘પપ્પાના એક મિત્ર મળેલા એમણે પપ્પા પાસેથી પાંચ લાખ રૂપિયા લઇ તેઓ લંડન ગયેલા તે પાછા આપવા આવ્યા હતા,બેંકમાં ઘરના દસ્તાવેજ મૂકી જે લોન લીધી હતી એ બાકીની લોન ચૂકવી દસ્તાવેજ છોડાવ્યા અને મંદીના સમયમાં માનસીના દાગિના જે સોનીને આપી પૈસા લીધેલા એ છોડાવી મને આપ્યા અને આ પાઉચમાં પાંચ લાખ રોકડા આપ્યા’બધુ માનસીને આપતા મનસુખએ કહ્યું
‘પણ હું જાણું છું તેમ લંડનવાળો કોઇ લીલાનો મિત્ર ન હતો’ભવાનજીએ કહ્યું
‘એક મીનિટ…એક મીનિટ તેમણે પોતાનું નામ શું કહ્યું હતું…?’માનસીએ પુછ્યું
‘કે.વી.યાદવ કેમ…?’મનસુખે કહ્યું
‘અરે એ સાક્ષાત કાનુડો હતો જે તમારી મદદે આવેલો’મલકીને માનસીએ કહ્યું
‘શું વાત કરેછે…?’મનસુખે આશ્ચર્યથી પુછ્યું
‘કે.વી.યાદવ એટલે,,…? મનસુખ અને ભવાનજી સામે ભમર ઉપર નીચે કરી જોતા માનસીએ પુછ્યું તો મનસુખ કે ભવાનજીએ કંઇ જવાબ ન આપ્યો તો ખુલાસો કરતા માનસીએ કહ્યું
‘કૃષ્ણ વાસુદેવ યાદવ’
‘હેં….’મનસુખના ગળામાંથી માંડ અવાઝ નીકળ્યો તો ભવાનજીનું મ્હોં અવાચક ખુલ્લુ રહી ગયુ ત્યારે મનસુખે ઘરના મંદિરમાં મુરલી મનોહરની મૂર્તિ સામે જોયું એ મલકતી હતી.(પુરી)
૦૫.૦૨.૨૦૨૦
Filed under: Stories |
Leave a Reply